ભારતથી થાઇલેન્ડ હવે બાય રોડ પણ જઈ શકાશે!
દેશો વચ્ચેના સંબંધોને વિકસાવવા માટે બે વસ્તુઓ સૌથી જરૂરી છે. વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર સેટેલાઇટ ટેક્નોલોજીએ સંદેશાવ્યવહારને તો હવે ખૂબ જ સરળ બનાવી દીધો છે. ઘડીના છઠ્ઠા ભાગમાં માણસ દુનિયાના કોઇ પણ છેડા સુધી સંપર્ક સાધી શકે છે. વાહનવ્યવહાર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે છે. હવાઇ અને દરિયાઇ માર્ગે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટિંગ ચાલે છે. જમીનથી જોડાયેલા એકબીજા દેશ વચ્ચે રોડ માર્ગ હોય એ પણ ખૂબ જરૂરી છે. એક ઉદાહરણથી આ વાત સમજીએ. ભારત અને પાકિસ્તાન રોડથી જોડાયેલું છે. અમૃતસરથી લાહોર જવું હોય તો અટારી બોર્ડર ક્રોસ કરીને આરામથી રોડ માર્ગે જઇ શકાય છે. રોડ ન હોય તો બાય એર જવું પડે. ભારત પોતાના તમામ પડોશી દેશો સાથે રોડ માર્ગોથી જોડાયેલું છે. હવે બહુદેશીય રોડ પ્રોજેક્ટ પર કામ થઇ રહ્યું છે. ભારતથી હવે વાયા મ્યાંમાર થઇને થાઇલેન્ડ સુધી રોડ માર્ગે જઇ શકાશે. લોકો માટે તો અવરજવર ઇઝી પડવાની જ છે, સૌથી મોટો ક્ષયદો માલસામાનની હેરફેરમાં થવાનો છે. કોલકાતામાં હમણાં બિક્સટેક દેશોના ઉદ્યોગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બિક્સટેક સાત દેશ બાંગ્લાદેશ, ભુતાન, ઇન્ડિયા, મ્યાંમાર, થાઇલેન્ડ, નેપાળ અને શ્રીલંકાનું સંગઠન છે. કોલકાતાની બેઠકમાં મ્યાંમાર અને થાઇલેન્ડના પ્રતિનિધિઓએ કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં એટલે કે ૨૦૨૬ સુધીમાં ભારત, મ્યાંમાર અને થાઇ લેન્ડના રોડ પ્રોજેક્ટનું કામ પૂરું થઇ જશે અને આ રસ્તે વાહનવ્યવહાર ચાલુ થઇ જશે.
વર્ષ ૨૦૦૨માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશો વચ્ચે સંબંધો વધારવાના હેતુથી આ રોડ માર્ગનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. ઇન્ડિયા, મ્યાંમાર, થાઇલેન્ડનો ટ્રિલેટરલ હાઇવે ૧૩૬૦ કિલોમીટરનો છે. આ માર્ગ પશ્ચિમ બંગાળના કોલકાતાથી શરૂ થશે. કોલકાતાથી સિલિગુડી, કૂચિબહાર થઇ આસામ, નાગાલેન્ડ અને મણિપુરના ઇમ્સલ અને મોરેહ થઇ મ્યાંમાર સુધી રોડ જશે. મ્યાંમારના તામુ શહેર થઇને આખું મ્યાંમાર વીંધીને રોડ થાઇલેન્ડના માઇસોટ સુધી પહોંચશે. આ માર્ગને તો કંબોડિયા થઇને વિયેતનામ અને લાઓસ સાથે પણ જોડવાની યોજના હતી પણ એ કામ અટકી ગયું હતું. ભવિષ્યમાં આ દેશો પણ રોડ પ્રોજેક્ટનો હિસ્સો હોય તો એમાં નવાઇ પામવા જેવું કંઇ નહીં હોય. આસિયાન એટલે કે એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન કન્ટ્રીઝ સંગઠનમાં પણ ભારત, મ્યાંમાર અને થાઇલેન્ડ સામેલ છે. આપણા દેશે સાઉથઇસ્ટ કન્ટ્રીઝ સાથેના સંબંધોને ગાઢ બનાવવા માટે એક્ટ ઇસ્ટ પૉલિસી બનાવી છે. આ રોડ પ્રોજેક્ટ તેનો જ એક હિસ્સો છે.
મ્યાંમારની પરિસ્થિતિના કારણે આ રોડના કામમાં થોડો વિલંબ થયો છે. તારીખ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ મ્યાંમારની સેનાના વડા મિન આંગ હલિંગે બળવો કર્યો હતો. મ્યાંમારમાં લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી આંગ સાન સૂ કીની સરકારને સેનાએ ઉથલાવી દીધી હતી. કાઉન્સેલર આંગ સાન સૂ કીને જેલમાં પૂરીને મિન આંગ હલિંગે દેશ પર કબજો જમાવી દીધો હતો. આજની તારીખે મ્યાંમારમાં સરમુખત્યાર મન આંગ હલિંગનું શાસન છે. મ્યાંમાર પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આપણા દેશે પોતાનાં હિત જોઇને મ્યાંમાર સાથેના સંબંધો ચાલુ રાખ્યા છે. મ્યાંમારના લશ્કરી શાસન પર ચીનની મહેરબાની છે. ચીને જ મિન આંગ હલિંગને બળવો કરવા માટે ઉશ્કેર્યા હતા. આંગ સાન સૂ કી ભારતને વધુ મહત્ત્વ આપવા લાગ્યા હતા એ ચીનથી સહન થયું નહોતું. મ્યાંમારમાં લોકશાહીના સ્થાપન માટે લોકો આંદોલન ચલાવી રહ્યા છે. સેના આંદોલનને ડામી દેવા માટે ગોળીઓ છોડવામાં પણ કંઇ બાકી રાખતી નથી. એક અંદાજ મુજબ લોકશાહી માટેની લડતમાં અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. હજુ દેખાવો ચાલી જ રહ્યા છે. પરિસ્થિતિમાં બદલાવ આવ્યો હોવા છતાં મ્યાંમાર સાથેના રોડ પ્રોજેક્ટનું કામ ચાલુ રહ્યું હતું. મ્યાંમાર ચીનના ખોળે બેસેલું હોવા છતાં આ રોડ પ્રોજેક્ટમાં ભારતને સાથ આપતું રહ્યું છે.
થાઇલેન્ડ અને ભારતને પ્રાચીન સમયથી સંબંધો રહ્યા છે. આઝાદી બાદ જે દેશો સાથે સૌથી પહેલાં દ્વિપક્ષીય સંબંધો શરૂ થયા તેમાં થાઇલેન્ડનો સમાવેશ થાય છે. થાઇલેન્ડમાં ઓગસ્ટ, ૨૦૨૨માં ભારત થાઇલેન્ડ જોઇન્ટ કમિશનની બેઠક મળી હતી. આપણા વિદેશપ્રધાન એસ. જયશંકર આ બેઠકમાં હાજરી આપવા થાઇલેન્ડ ગયા હતા. એ સમયે પણ ભારત થાઇલેન્ડ રોડમાર્ગને વહેલીતકે પૂરો કરવા મુદ્દે વાત થઇ હતી. ભારતીય મૂળના ૬૫ હજાર લોકો થાઇ લેન્ડના ઓફિશિયલ સીટિઝન્સ છે. એ સિવાય બીજા ૪૦ હજારથી વધુ ભારતીયો નોકરી ધંધાર્થે થાઇલેન્ડમાં સેટલ થયા છે. થાઇલેન્ડના બેંગકોક, પતાયા, ફૂકેટ અને ચિયાંગ માઇમાં ભારતીયોની નોંધપાત્ર વસતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૯માં આસિયાન સમિટમાં ભાગ લેવા માટે થાઇ લેન્ડ ગયા હતા. એ વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, થાઇલેન્ડના કણકણમાં અને દરેક જણમાં પોતાનાપણાની લાગણી થાય છે. થાઇ લેન્ડ પ્રાચીન સમયમાં સ્વર્ણભૂમિનો હિસ્સોસ્ટ પૉલિસી હેઠળ અનેક યોજનાઓ હાથ રહ્યું છે. ભગવાન રામની મર્યાદા અને ધરવાનું છે. ભગવાન બુદ્ધની કરુણા ભારત અને થાઇ લેન્ડની સહિયારી સંસ્કૃતિ અને વિરાસત છે. થાઇલેન્ડ અને ભારત વચ્ચેનો વેપાર સતત વધતો રહ્યો છે.
થાઇલેન્ડ પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. થાઇલેન્ડનું નામ પડે એટલે ભલે બધાને સેક્સ ટૂરિઝમનો વિચાર આવી જતો હોય પણ એ સિવાય ત્યાં દરિયાઇ સૌંદર્ય અને બીજું ઘણું બધું છે. રોડ માર્ગે વાયા મ્યાંમાર થઇને થાઇલેન્ડ સુધી જવાનો રોમાંચ પણ અનેરો રહેવાનો છે. ત્રણે દેશ વચ્ચે એક નવું રોડ ટૂરિઝમ પણ શરૂ થવાનું છે. ફ્લાઇટમાં બેસીને એક દેશથી બીજા દેશ પહોંચી જવું એ એક વાત છે. રોડ માર્ગે કોઇ દેશના પ્રવાસે જવાની મજા જ સાવ જુદી છે. રોડ પર જે તે દેશનાં સાચાં રૂપ અને વિવિધતાનાં દર્શન થાય છે. ભારતથી મ્યાંમાર થઇને થાઇલેન્ડ સુધીના રોડ પર જે સ્થળો છે એ અનોખાં છે. ટૂરિઝમ સાથે જોડાયેલા લોકો પણ રાહ જોઇને જ બેઠા છે કે, વહેલીતકે આ માર્ગ શરૂ થાય. બીજી વાત એ છે કે, ચીન આ બંને દેશો સાથે સંબંધો સતત વધારી રહ્યું છે. ચીને મ્યાંમાર અને થાઇલેન્ડ બંને દેશમાં જબરજસ્ત પગપેસારો કરી દીધો છે. ચીને પોતાની નજીકના દેશોને જોડવા માટે એક નવો લેન્ડ એન્ડ સી કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જમીન પર રોડ ઉપરાંત ટ્રેનવ્યવહાર પણ ચીન વધારી રહ્યું છે, ત્યારે ભારત માટે આ રોડ મહત્ત્વનો સાબિત થવાનો છે. ચીનને ટક્કર આપવા માટે ભારત કોઇ કસર છોડવા માંગતું નથી!